ધોરણ : 8 સામાજિક વિજ્ઞાન એકમ : 11 સ્વાધ્યાય

GIRISH BHARADA

 

ધોરણ : 8 સામાજિક વિજ્ઞાન એકમ : 11 સ્વાધ્યાય

ધોરણ : 8

વિષય : સામાજિક વિજ્ઞાન

એકમ : 11. ખેતી

સ્વાધ્યાય


પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો.


(1) કૃષિને અસર કરતાં પરિબળો જણાવો.

ઉત્તર : કૃષિને અસર કરતાં પરિબળો આ પ્રમાણે છે : (1) સુધારેલાં બિયારણો (2) જંતુનાશકો (3) સિંચાઈની ઉન્નત સગવડો ( 4 ) ટપક સિંચાઈ પદ્ધતિ (5) ફુવારા પિયત પદ્ધતિ (6 ) ખાતરો (7) કૃષિમંત્રો વગેરે.


(2) સરકાર ખેડૂતોમાં ખેતીનો વિકાસ કરવા માટે શું મદદ કરે છે?

ઉત્તર : નામદાર ગુજરાત સરકાર ખેતીનો વિકાસ કરવા માટે ખેડૂતોને રેડિયો, ટેલિવિઝન, વર્તમાનપત્રો, DD કિસાન ચેનલ, મોબાઇલ પર કિસાન SMS, ટોલ ફ્રી નંબર 1800 180 1551 (કિસાન કોલ સેન્ટર), સરકારનાં ખેડૂત વૅબપોર્ટલ, ઈ-ખેડૂત અને Agri Market જેવી મોબાઇલ એપ વગેરે દ્વારા સતત અદ્યતન માહિતી, નવી તનિકો અને માર્ગદર્શન પૂરાં પાડવામાં આવે છે. આ ઉપરાંત, કૃષિમેળાઓ દ્વારા ખેડૂતોને અદ્યતન માહિતી અને માર્ગદર્શન આપવામાં આવે છે.


(3) ગુજરાતમાં મુખ્ય કયા કયા પાક થાય છે?

ઉત્તર : ગુજરાતમાં થતા મુખ્ય પાકો : બાજરી, ઘઉં, ડાંગર, જુવાર, મગફળી, કપાસ, શેરડી, તમાકુ વગેરે પાકો, કેરી, કેળાં, ચીકુ, પપૈયાં, દ્રાક્ષ, સ્ટ્રૉબરી, નાળિયેરી વગેરે ફળો; ચણા, મગ, મઠ, અડદ, તુવેર વગેરે કઠોળ તેમજ મરચાં, જીરુ, વરિયાળી, ઇસબગુલ, રાઈ વગેરે મસાલા.


(4) કૃષિના પ્રકારો કયા કયા છે?

ઉત્તર : કૃષિના પ્રકારો આ પ્રમાણે છે : (1) જીવનનિર્વાહ ખેતી (2) સ્થળાંતરિત (ઝૂમ) ખેતી (3) સઘન ખેતી (4) સૂકી ખેતી (5) આદ્ર ખેતી અને (6) બાગાયતી ખેતી.


(5) વનસ્પતિજન્ય કીટનાશકોમાં કઈ કઈ વનસ્પતિનો ઉપયોગ થાય છે?

ઉત્તર : વનસ્પતિજન્ય કીટનાશકોમાં લીમડો, કરજ, મહુડો, તુલસી, રતનજ્યોત, ફુદીનો, કારેલાં, તમાકુ, સેવંતી વગેરે વનસ્પતિનો ઉપયોગ થાય છે.


(6) તફાવત આપો : બાગાયતી ખેતી – સઘન ખેતી

ઉત્તર : બાગાયતી ખેતી અને સઘન ખેતી વચ્ચેનો તફાવત નીચે પ્રમાણે છે :

બાગાયતી ખેતી

(1) બગીચાની પદ્ધતિએ સારસંભાળ લઈને કરવામાં આવતી ખેતી બાગાયતી ખેતી કહેવાય છે.

(2) તેમાં બાગાયતી પાકો અને ફળોની ખેતી કરવામાં આવે છે.

સઘન ખેતી

(1) સિંચાઈની સુવિધાઓ, ઊંચી જાતનાં બિયારણો, ખેતીની નવી ટેકનોલૉજી, રાસાયણિક ખોતરો, કીટનાશકો, વિવિધ પ્રક્રિયાનાં યંત્રો વગેરેનો ઉપયોગ કરીને કરવામાં આવતી ખેતી સઘન ખેતી કહેવાય છે.

(2) તેમાં મુખ્યત્વે રોકડિયા પાકોનું વધારે વાવેતર કરવામાં આવે છે.


(7) જૈવિક કીટનાશકોમાં શેનો શેનો ઉપયોગ થાય છે?

ઉત્તર : જૈવિક કીટનાશકોમાં જીવાણુઓ (બૅક્ટરિયા), વિષાણુ, ફૂગ, કૃમિ અને વનસ્પતિજન્ય આધારિત જૈવિક કીટનાશકોનો ઉપયોગ થાય છે. તેમાં જીવાણુઓ લગભગ 90 % હિસ્સો ધરાવે છે.


(8) ગુજરાતનો ભરૂચ પાસે આવેલ કયો પ્રદેશ લાંબા તારના કપાસના ઉત્પાદન માટે જાણીતો છે?

ઉત્તર : ગુજરાતનો ભરૂચ પાસે આવેલ કાનમ પ્રદેશ તેના લાંબા તારના કપાસના ઉત્પાદન માટે જાણીતો છે.


પ્રશ્ન 2. નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર આપો :


(1) નીચેનામાંથી કયા ખેતીના પ્રકારમાં ઉત્પાદન ઓછું હોય છે?

(A) બાગાયતી ખેતી

(B) ઝૂમ ખેતી

(C) સઘન ખેતી

(D) આર્ટ ખેતી

ઉત્તર : (B) ઝૂમ ખેતી


(2) વનસ્પતિજન્ય કીટનાશકોમાં કઈ વનસ્પતિનો ઉપયોગ થતો નથી?

(A) લીમડો

(B) કારેલાં

(C) તમાકુ

(D) બિલાડીના ટોપ

ઉત્તર : (D) બિલાડીના ટોપ


(3) દિવેલા(એરંડા) નાં ઉત્પાદનમાં વિશ્વમાં કયો દેશ પ્રથમ ક્રમે છે?

(A) બ્રાઝિલ

(B) ભારત

(C) ચીન

(D) શ્રીલંકા

ઉત્તર : (B) ભારત


(4) ‘ઘઉંનો કોઠાર' ક્યા રાજ્યને કહેવામાં આવે છે?

(A) પંજાબ

(B) ગુજરાત

(C) હરિયાણા

(D) ઉત્તર પ્રદેશ

ઉત્તર : (A) પંજાબ


પ્રશ્ન 3. નીચેના વિધાનોના ભૌગોલિક કારણો આપો :


(1) રાસાયણિક ખાતર અને રાસાયણિક કીટનાશકોનો વધુ પડતો વપરાશ નુકસાનકારક છે.

ઉત્તર : રાસાયણિક ખાતરો અને રાસાયણિક કીટનાશકોનો અવિવેકી અને આડેધડ ઉપયોગ કરવાથી જમીનની ગુણવત્તા ઘટી છે. અને પાણીનું પ્રદૂષણ વધ્યું છે. વળી, ખેતપેદાશોમાં જંતુનાશકોના ઝેરી અવશેષો રહી જાય છે, જેની મનુષ્યના આરોગ્ય પર લાંબા ગાળે ખૂબ માઠી અસરો જન્માવે છે; મનુષ્યને કેટલાક રોગો થવાની શક્યતાઓ ઊભી થાય છે. આમ, રાસાયણિક ખાતરો અને રાસાયણિક કીટનાશકોનો વધુ પડતો વપરાશ નુકસાનકારક છે.


(2) જુદા જુદા પ્રદેશોમાં વિવિધ પાક ઉગાડવામાં આવે છે.

ઉત્તર : જે તે પ્રદેશની ભૌગોલિક પરિસ્થિતિ, આબોહવા, જમીનની વિવિધતા અને વરસાદના પ્રમાણમાં રહેલી ભિન્નતા વગેરે પરિબળોને કારણે જુદા જુદા પ્રદેશોમાં વિવિધ પાકો ઉગાડવામાં આવે છે.


(3) જૈવિક કીટનાશકો તરફનું વલણ વધી રહ્યું છે.

ઉત્તર : જ્યારે જૈવિક કીટનાશકનું પ્રવાહી મિશ્રણ પાક પર છાંટવામાં આવે છે ત્યારે સુષુપ્ત અવસ્થામાં રહેલા જીવંત જીવાણુઓ ઇયળના ખોરાક સાથે તેનાં આંતરડાંમાં પહોંચે છે, એ ઝેરી પ્રોટીન ઇયળનાં આંતરડાંમાં અને ખાસ કરીને તેના મોઢાના ભાગે લકવો પેદા કરે છે. છેવટે ઇયળ મરી જાય છે. આમ, જૈવિક કીટનાશકો ઉપદ્રવી જીવાતોમાં જુદા જુદા રોગ લાગુ પાડે છે. પરિણામે એ જીવાતોનો નાશ થાય છે. તેથી કૃષિપાકોમાં જીવાતોના નિયંત્રણ માટે જૈવિક કીટનાશકોનો ઉપયોગ કરવા તરફનું વલણ વધી રહ્યું છે.


(4) ખેતીમાં ટપક પિયત પદ્ધતિ શ્રેષ્ઠ પિયત પદ્ધતિ છે.

ઉત્તર : ટપક પિયત પદ્ધતિનો યોગ્ય રીતે ઉપયોગ કરવાથી – (1) પાણીની 40 %થી 60 % સુધીની બચત થાય છે. (2) પાણી સાથે ખાતરો અને જંતુનાશક દવાઓ એકસરખા પ્રમાણમાં છોડના મૂળ સુધી પહોંચે છે. તેથી છોડનાં વૃદ્ધિ અને વિકાસ ઝડપથી થાય છે. (૩) ખાતરની 25 %થી 30 % સુધીની બચત થાય છે. (4) મજૂરી ખર્ચ ઓછો થાય છે. (5) અસમથળ જમીનમાં પણ સારી રીતે પિયત કરી શકાય છે. (6) નીંદણ ઓછું થવાથી નિંદામણનાશક દવાઓનો અને મજૂરીનો ખર્ચ ઘટી જાય છે. (7 ) જમીનમાં પાણી ભરાઈ રહેતું રોગ-જીવાત ઓછી આવે છે. (8) વીજળીની આશરે 30% થી 35 % સુધીની બચત થાય છે. (9) જમીનમાં માત્ર ભેજ જ રહેતો હોવાથી ખેતીનાં કામો કરવાની સરળતા રહે છે. ઉપર્યુક્ત કારણોસર ખેતીમાં ટપક પિયત પદ્ધતિ શ્રેષ્ઠ પિયત પદ્ધતિ બની છે.


પ્રશ્ન 4. નીચેના શબ્દોની સંકલ્પના સમજાવો :

(1) ખેતી (2) બાગાયતી ખેતી (3) સૂકી ખેતી (4) આર્ટ ખેતી

ઉત્તર :

(1) ખેતી : જે પ્રવૃત્તિમાં અનાજ, તેલીબિયાં, કઠોળ, ફળો, શાકભાજી, ફૂલો વગેરેને ઉગાડવાનો તેમજ પશુપાલનનો સમાવેશ થાય છે એવી પ્રાથમિક પ્રવૃત્તિને ‘ખેતી' કહેવામાં આવે છે. ખેતીને ‘કૃષિ' પણ કહેવામાં આવે છે.

(2) બાગાયતી ખેતી : બગીચાની પદ્ધતિએ સારસંભાળ લઈને કરવામાં આવતી ખેતી ‘બાગાયતી ખેતી' કહેવાય છે. બાગાયતી ખેતીમાં પાકોનું સંવર્ધન ઘણી માવજત અને ચીવટપૂર્વક કરવામાં આવે છે. આ ખેતીમાં રબર, ચા, કૉફી, કોકો, નાળિયેરી વગેરે બાગાયતી પાકો લેવામાં આવે છે. તદુપરાંત, અહીં સફરજન, કેરી સંતરાં, દ્રાક્ષ, આંબળાં, લીંબુ, જામફળ, બોર, ખારેક (ખલેલા) વગેરે ફળોની ખેતી કરવામાં આવે છે.

(3) સૂકી ખેતી : જ્યાં વરસાદ ઓછો પડે છે, સિંચાઈની સગવડો પણ અલ્પ છે અને ચોમાસામાં જ્યાં પાણીનો સંગ્રહ થતો હોય એવી નીચાણવાળી જમીનમાં પાણી સુકાઈ ગયા પછી ખેતી થાય છે તેને ‘સૂકી ખેતી' કહેવામાં આવે છે. અહીં જુવાર, બાજરી અને કઠોળ જેવા પાણીની ઓછી જરૂરિયાતવાળા પાકોની ખેતી થાય છે.

(4) આદ્ર ખેતી : જે વિસ્તારોમાં વધુ વરસાદ પડે છે અને સિંચાઈની પણ સગવડ છે તે વિસ્તારોમાં કરવામાં આવતી ખેતી ‘આદ્ર ખેતી’ કહેવાય છે. આ પ્રકારની ખેતીમાં વરસાદ ન પડે કે ઓછો પડે ત્યારે સિંચાઈ દ્વારા વર્ષમાં એક કરતાં વધુ પાક લઈ શકાય છે. અહીં ડાંગર, શેરડી, કપાસ, ઘઉં, શાકભાજી વગેરેની ખેતી થાય છે.


પ્રશ્ન 5. ખાલી જગ્યા પૂરો :


(1) ગુજરાત કપાસના ઉત્પાદનમાં ભારતમાં..............સ્થાન ધરાવે છે.

ઉત્તર : પ્રથમ


(2) સઘન ખેતીને……………ખેતી પણ કહે છે.

ઉત્તર : વ્યાપારી


(3) ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન………..જિલ્લામાં થાય છે.

ઉત્તર : જૂનાગઢ


(4) વિશ્વમાં આશરે………….% લોકો ખેતી પ્રવૃત્તિઓમાં રોકાયેલા છે.

ઉત્તર : 50


(5) કપાસની કાળી જમીન………….ના નામે પણ ઓળખાય છે.

ઉત્તર : રેગુર


પ્રશ્ન 6. ટૂંક નોંધ લખો :


(1) સઘન ખેતી

ઉત્તર : સઘન ખેતી એ આધુનિક ખેત પદ્ધતિ છે, જ્યાં સિંચાઈની સારી સગવડ છે, ત્યાંનો ખેડૂત વર્ષમાં એકથી વધુ પાક લઈને સારું કૃષિ-ઉત્પાદન કરી શકે છે. તેથી તે સિંચાઈની સુવિધાઓ, ઊંચી જાતનાં બિયારણો, ખેતીની નવી ટેક્નોલૉજી, રાસાયણિક ખાતરો, કીટનાશકો અને વિવિધ પ્રક્રિયામાં યંત્રો વગેરેનો વ્યાપક ઉપયોગ કરે છે અને વધુ ને વધુ ઉત્પાદન મેળવે છે. આ પ્રકારની ખેતી ‘સઘન ખેતી’ કહેવાય છે. આ ખેતીમાં રોકડિયા પાકોનું વાવેતર કરવામાં આવે છે. તેમાં હેક્ટરદીઠ ઉત્પાદન ખૂબ જ થાય છે, પરિણામે તેમાં ખેતી હેઠળનો વિસ્તાર વધતો જાય છે. સઘન ખેતીમાં આર્થિક વળતરને વધુ મહત્ત્વ અપાય છે, તેથી તેને ‘વ્યાપારી ખેતી' પણ કહે છે. ગુજરાતમાં સુરત, વલસાડ, આણંદ વગેરે જિલ્લાઓમાં સઘન ખેતી થાય છે.


(2) ખેતીનો વિકાસ

ઉત્તર : ખેતીનો વિકાસ એ દેશની વધતી જતી વસ્તીની અનાજની માંગને પહોંચી વળવા માટે કૃષિ-ઉત્પાદનમાં વધારો કરવાના પ્રયત્નો સાથે જોડાયેલ છે. ખેતીનો વિકાસ વિવિધ રીતે કરી શકાય છે. જેમ કે, વાવેલા ક્ષેત્રનો વિસ્તાર કરીને, વાવેલા પાકની સંખ્યામાં વધારો કરીને, સિંચાઈની સગવડોમાં સુધારાઓ કરીને, ખાતરોનો ઉપયોગ કરીને, વધારે ઊપજ આપતાં બિયારણોનો ઉપયોગ કરીને તેમજ કૃષિલક્ષી યંત્રોનો ઉપયોગ કરીને ખેતીનો બહોળો વિકાસ કરી શકાય છે. લોકોના ખોરાકની સુરક્ષામાં વધારો કરવો એ ખેતીના વિકાસનું અંતિમ લક્ષ્ય છે.

ખેતી ક્ષેત્રે થયેલો સહકારી પ્રવૃત્તિનો વિકાસ પણ ખેતીના વિકાસમાં સહાયક બન્યો છે. ખેડૂતોને આર્થિક મદદ કરવા કિસાન ક્રેડિટ કાર્ડ તેમજ રાષ્ટ્રીયકૃત અને સહકારી બૅન્કો દ્વારા કૃષિ ધિરાણઆપવામાં આવે છે. ખેતપેદાશોનો સંગ્રહ કરવા દેશના જુદા જુદા ભાગોમાં ગોદામોની સગવડ કરી છે.

હાલમાં સરકાર ખેડૂતોને રેડિયો, ટેલિવિઝન (TV), વર્તમાનપત્રો, DD કિસાન ચેનલ, મોબાઇલ પર કિસાન SMS, ટોલ ફ્રી નંબર 1800 180 1551 (કિસાન કોલ સેન્ટર), સરકારના ખેડૂત વૅબપોર્ટલ, ઇ-ખેડૂત, Agri Market જેવી મોબાઇલ એપ વગેરે દ્વારા સતત અદ્યતન માહિતી, નવી તકનિકો અને માર્ગદર્શન પૂરું પાડે છે. નામદાર ગુજરાત સરકાર પ્રતિવર્ષે કૃષિમેળાઓ યોજીને રાજ્યના ખેડૂતોને કૃષિવિષયક માહિતી અને માર્ગદર્શન પૂરાં પાડે છે. આ બધા પ્રયત્નો દ્વારા પણ કૃષિનો ઉત્તરોત્તર વિકાસ થાય છે.


(3) ડાંગર

ઉત્તર : ડાંગર એ વિશ્વનો અને ભારતનો ખૂબ મહત્ત્વનો અને મુખ્ય ખાદ્યપાક છે. વિશ્વની અને ભારતની મોટા ભાગની વસ્તી ખોરાકમાં ચોખાનો ઉપયોગ કરે છે. ડાંગરના પાકને ફળદ્રુપ જમીન, ગરમ અને ભેજવાળી આબોહવા તથા 100 સેમી કે તેથી વધારે વરસાદની જરૂર પડે છે. ડાંગરનો પાક મુખ્યત્વે પાણીથી ભરાયેલાં ખેતરોમાં થાય છે. તેના ખેતરમાં પાણી સતત ભરી રાખવાને બદલે ફુવારા પિયત પદ્ધતિથી સિંચાઈ કરીને ઓછા પાણીથી પણ ડાંગરનો પાક લઈ શકાય છે. ડાંગરની ખેતીમાં યંત્રોનો ઉપયોગ થઈ શક્તો નથી. તેથી તેની ખેતી માટે વધુ મજૂરોની જરૂર પડે છે. વિશ્વમાં ડાંગરના ઉત્પાદનમાં ચીન પ્રથમ ક્રમે છે. ભારત, જાપાન, શ્રીલંકા વગેરે ડાંગરના અન્ય મુખ્ય ઉત્પાદક દેશો છે. ભારતમાં પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, તેલંગણા, બિહાર, ઓડિશા વગેરે ડાંગરનાં મુખ્ય ઉત્પાદક રાજ્યો છે. ગુજરાતમાં ડાંગરનું ઉત્પાદન ખેડા, અમદાવાદ, સુરત, તાપી, આણંદ, વલસાડ વગેરે જિલ્લાઓમાં થાય છે.


(4) કાળી જમીન

ઉત્તર : કાળી જમીન ચીકણી અને ફળદ્રુપ હોય છે. તે ભેજને ગ્રહણ કરી લાંબા સમય સુધી સંઘરી રાખવાની ક્ષમતા ધરાવે છે. ભેજ સુકાઈ જાય છે ત્યારે તેમાં ફાટો કે તિરાડો પડી જાય છે. કાળી જમીન કપાસના પાક માટે ખૂબ અનુકૂળ હોવાથી તે ‘કપાસની કાળી જમીન' તરીકે ઓળખાય છે. તે ‘રેગુર' નામે પણ જાણીતી છે. કાળી જમીનમાં કપાસ, અળસી, સરસવ, મગફળી, તમાકુ જેવા પાકો તેમજ અડદ જેવો કઠોળ વર્ગનો પાક લેવામાં આવે છે.


(5) ટપક સિંચાઈ પદ્ધતિ

ઉત્તર : ટપક સિંચાઈ એ સૂક્ષ્મ પિયત પદ્ધતિનો એક પ્રકાર છે. આ સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરવાથી પાણીની બચત થાય છે અને પોષકતત્ત્વો(દ્રવ્યો) ધીમે ધીમે છોડના મૂળ સુધી પહોંચે છે. આ પ્રક્રિયા જમીનની ઉપરની સપાટીથી અંદરના મૂળ સુધી અસર કરે છે. ટપક સિંચાઈ પદ્ધતિનો મુખ્ય હેતુ બાષ્પીભવન ઓછું કરી, પાણીને છોડના છેક મૂળ સુધી સીધું જ પહોંચાડવાનો છે.

ટપક સિંચાઈ પદ્ધતિમાં વાલ્વ, પાઇપ, નળીઓ અને ઉત્સર્જકોનો સહિયારો ઉપયોગ કરી છોડને પાણી પહોંચાડવામાં આવે છે. જે-તે ક્ષેત્રમાં પાણી અને પોષક્તત્ત્વોનું ‘ડ્રિપરલાઇન્સ' તરીકે ઓળખાતી પાઇપો દ્વારા વિતરણ કરવામાં આવે છે. તેમાં ‘ડ્રિપર' તરીકે ઓળખાતા નાના એકમો હોય છે. દરેક ડ્રિપર પાણી અને ખાતરો મિશ્રિત ટીપાંને બહાર કાઢે છે. એ ટીપાં દરેક છોડના મૂળ સુધી જાય છે. આ સિંચાઈ પદ્ધતિની સફળતાનો આધાર તેની ગોઠવણી, જાળવણી અને તેને કેવી રીતે કાર્યરત કરવામાં આવી છે તેની પર રહેલો છે. જો આ પદ્ધતિનો યોગ્ય રીતે સંચાલન કરવામાં આવે તો સિંચાઈની અન્ય પદ્ધતિઓ અને જળ છંટકાવની અન્ય પદ્ધતિઓની તુલનામાં વધારે અસરકારક રહે છે. ટપક સિંચાઈને કેટલીક વખત ‘ટ્રિકલ સિંચાઈ' પણ કહેવામાં આવે છે. બે હરોળ વચ્ચે જગ્યા ધરાવતા કપાસ, એરંડા, શેરડી વગેરે પાકો તેમજ શાકભાજી અને ફળોના પાકોને ટપક પિયત પદ્ધતિ અનુકૂળ છે.

ટપક સિંચાઈ પદ્ધતિનો યોગ્ય રીતે ઉપયોગ કરવાથી (1) પાણીની 40 %થી 60 % સુધીની બચત થાય છે. (2) પાણી સાથે ખાતરો અને જંતુનાશક દવાઓ એકસરખા પ્રમાણમાં છોડનાં મૂળ સુધી પહોંચે છે. તેથી છોડનાં વૃદ્ધિ અને વિકાસ ઝડપથી થાય છે. (3) ખાતરની 25 %થી 30 % સુધીની બચત થાય છે. (4) મજૂરી ખર્ચ ઓછો થાય છે. (5) અસમથળ જમીનમાં પણ સારી રીતે પિયત કરી શકાય છે. (6) નીંદણ ઓછું થવાથી નિંદામણનાશક અને દવાઓનો મજૂરીનો ખર્ચ ઘટી જાય છે. (7) જમીનમાં પાણી ભરાઈ રહેતું ન હોવાથી રોગ-જીવાત ઓછી થાય છે. (8) વીજળીની આશરે 30 %થી 35 % સુધીની બચત થાય છે. (9) જમીનમાં માત્ર ભેજ જ રહેતો હોવાથી ખેતીનાં કામો કરવાની સરળતા રહે છે. આ બધાં કારણોસર ખેતીમાં ટપક પિયત પદ્ધતિ એ શ્રેષ્ઠ પિયત પદ્ધતિ ગણાય છે.