ધોરણ : 8 સામાજિક વિજ્ઞાન એકમ : 10 સ્વાધ્યાય

GIRISH BHARADA

 

ધોરણ : 8 સામાજિક વિજ્ઞાન એકમ : 10 સ્વાધ્યાય

ધોરણ : 8

વિષય : સામાજિક વિજ્ઞાન

એકમ : 10. ખનિજ અને ઊર્જા સંસાધન

સ્વાધ્યાય


પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર એક-બે વાક્યોમાં આપો :


(1) તમારા દૈનિક ઉપયોગમાં આવતાં ત્રણ ખનીજોનાં નામ લખો.

ઉત્તર : (1) લોખંડ (2) ખનીજ તેલ અને (3) કુદરતી વાયુ


(2) ધાત્વિક ખનીજોનાં અયસ્ક સામાન્ય રીતે ક્યાંથી મળી આવે છે?

ઉત્તર : ધાત્વિક ખનીજોનાં અયસ્ક સામાન્ય રીતે આગ્નેય અને રૂપાંતરિત ખડકસમૂહોથી બનેલા વિશાળ સ્તરોમાંથી મળી આવે છે.


(3) ભારતમાં ભૂતાપીય ઊર્જાના પ્લાન્ટ ક્યાં આવેલા છે?

ઉત્તર : ભારતમાં ભૂ-તાપીય ઊર્જાના પ્લાન્ટ હિમાચલ પ્રદેશ રાજ્યમાં મણિકરણ અને કેન્દ્રશાસિત પ્રદેશ લદાખમાં પૂગાઘાટી ખાતે આવેલા છે.


(4) પેટ્રોલિયમમાંથી પ્રક્રિયા દ્વારા કયાં કયાં ઉત્પાદનો બનાવવામાં આવે છે?

ઉત્તર : પેટ્રોલિયમમાંથી પ્રક્રિયા દ્વારા ડીઝલ, પેટ્રોલ, કેરોસીન, મીણ, પ્લાસ્ટિક, ઊંજણ તેલ (લુબ્રિકન્ટ) વગેરે ઉત્પાદનો બનાવવામાં આવે છે.


(5) ગુજરાતમાં ગરમ પાણીના ઝરા ક્યાં ક્યાં આવેલા છે?

ઉત્તર : ગુજરાતમાં ગરમ પાણીના ઝરા લસુન્દ્રા, ઉનાઈ, ટુવા અને તુલસીશ્યામ ખાતે આવેલા છે.


પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો :


(1) ખનીજ તેલને ‘કાળું સોનું' કેમ કહેવામાં આવે છે?

ઉત્તર : ખનીજ તેલ ખૂબ જ કિંમતી ઊર્જા-સંસાધન છે. રિફાઇનરીમાં પ્રક્રિયા દ્વારા તેમાંથી ડીઝલ, પેટ્રોલ, કેરોસીન, મીણ, પ્લાસ્ટિક, ઊંજણ તેલ (લુબ્રિકન્ટ) જેવા ઉપયોગી પદાર્થો મેળવવામાં આવે છે. તેનો દરેક ભાગ ઉપયોગી હોય છે. ખનીજ તેલનાં વિવિધ ઉત્પાદનોનો વ્યાપારી ધોરણે બહોળો ઉપયોગ થાય છે. આ કારણોસર ખનીજ તેલને ‘કાળું સોનું' કહેવામાં આવે છે.


(2) જેનાથી આપણે ઊર્જા બચાવી શકીએ તેવા ઉપાયો જણાવો.

ઉત્તર : જેનાથી આપણે ઊર્જા બચાવી શકીએ તેવા ઉપાયો આ પ્રમાણે છે : (1) પેટ્રોલને બદલે સી.એન.જી.(CNG-Compressed Natural Gas) નો ઉપયોગ કરવો જોઈએ. (2) રસોઈઘરમાં બળતણ માટે લાકડાં કે કોલસો વાપરવાના બદલે એલ. એન.જી.(LPG = Liquefied Petroleum Gas) નો ઉપયોગ કરવો જોઈએ. (3) ઊર્જાના બિનપરંપરાગત સ્રોતો જેવા કે જળવિદ્યુત, સૌર ઊર્જા, પવન ઊર્જા, ભરતી ઊર્જા, ભૂ-તાપીય ઊર્જા, બાયોગેસ વગેરેનો વધુને વધુ ઉપયોગ કરવો જોઈએ.


(3) ગુજરાતમાં કોલસો ક્યાં ક્યાંથી મળી આવે છે?

ઉત્તર : ગુજરાતમાં લિગ્નાઇટ કોલસો કચ્છમાં પાંધ્રો, સુરતમાં તડકેશ્વર, ભરૂચમાં રાજપારડી, ભાવનગરમાં થોરડી, તગડી અને સામતપર તથા મહેસાણામાં કડી ખાતેથી પણ લિગ્નાઇટ કોલસો મળી આવે છે.


(4) ભવિષ્યમાં બિનપરંપરાગત ઊર્જાસ્ત્રોતોનો ઉપયોગ વધારવો પડશે. – વિધાન સમજાવો.

ઉત્તર : કોલસો, ખનીજ તેલ અને કુદરતી ગેસ જેવાં શક્તિનાં સાધનો મર્યાદિત જથ્થામાં ઉપલબ્ધ છે. એવું અનુમાન કરવામાં આવે છે કે, જો વર્તમાન દરે તેમનો વપરાશ સતત થતો રહે તો શક્તિનાં એ ઇંધણોના ભંડારો સમાપ્ત થઈ જશે. આ ઉપરાંત તેમના ઉપયોગથી પર્યાવરણીય પ્રદૂષણ પણ ઉત્પન્ન થાય છે. એટલા માટે ભવિષ્યમાં સૌર ઊર્જા, પવન ઊર્જા, ભરતી ઊર્જા, ભૂ-તાપીય ઊર્જા જેવા બિનપરંપરાગત ઊર્જાસ્રોતોનો ઉપયોગ વધારવો પડશે. બિનપરંપરાગત ઊર્જાસ્રોતો અમર્યાદિત છે. તે પુનઃપ્રાપ્ય છે. તે નાશવંત નથી, તે ખલાસ થઈ ગયા પછી નવેસરથી બનાવી શકાય છે. વળી, તેમના ઉપયોગથી પર્યાવરણીય પ્રદૂષણ ઉત્પન્ન થતું નથી. તે પ્રદૂષણમુક્ત છે.


(6) ભવિષ્યમાં અશ્મિભૂત બળતણોનો ઉપયોગ ઘટાડવામાં જ સમજદારી છે એમ શાથી કહી શકાય?

ઉત્તર : અશ્મિભૂત બળતણો (ઇંધણ) નો વપરાશ ખૂબ ઝડપથી થઈ રહ્યો છે. તેમનો જથ્થો મર્યાદિત છે. જો વર્તમાન દરે તેનો વપરાશ થતો રહેશે તો નજીકના ભવિષ્યમાં તેના ભંડારો સમાપ્ત થઈ જશે એ એક ચિંતાજનક બાબત છે. તે પુનઃ અપ્રાપ્ય છે. તે નાશવંત છે. તેનું નવીનીકરણ થઈ શકતું નથી. અશ્મિભૂત બળતણોના સળગવાથી-દહનથી વાતાવરણમાં ઝેરી પ્રદૂષકો ફેલાય છે તે ખૂબ જ ગંભીર ચિંતાનો વિષય છે. આથી કહી શકાય કે, ભવિષ્યમાં અશ્મિભૂત બળતણોનો ઉપયોગ ઘટાડવામાં સમજદારી છે.


પ્રશ્ન 3. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર આપો.


(1) નીચેનામાંથી કયું લક્ષણ ખનીજનું નથી?

(A) તેઓ કુદરતી પ્રક્રિયાઓ દ્વારા બનેલાં હોય છે.

(B) તેમનું એક ચોક્કસ રાસાયણિક બંધારણ હોય છે.

(C) તેઓ અપ્રાપ્ય હોય છે.

(D) તેમનું વિતરણ અસમાન હોય છે.

ઉત્તર : (C) તેઓ અપ્રાપ્ય હોય છે.


(2) નીચેનામાંથી બંધબેસતી જોડી બનાવો :

વિભાગ : અ

(a) સૌર શીતાગાર

(b) વિન્ડ ફાર્મ

(c) સોલર પાર્ક

(d) ગરમ પાણીના ઝરા

(e) બાયોગેસ પ્લાન્ટ

વિભાગ : બ

(1) તુલસીશ્યામ

(2) ચારણકા

(3) રૂદાતલ

(4) છાણી

(5) માંડવી

ઉત્તર :

(a) સૌર શીતાગાર - (4) છાણી

(b) વિન્ડ ફાર્મ - (5) માંડવી

(c) સોલર પાર્ક - (2) ચારણકા

(d) ગરમ પાણીના ઝરા - (1) તુલસીશ્યામ

(e) બાયોગેસ પ્લાન્ટ - (3) રૂદાતલ


(3) વિશ્વનો સૌથી મોટો ભૂ-તાપીય ઊર્જા પ્લાન્ટ કયા દેશમાં છે?

(A) યૂ.એસ.એ.

(B) ન્યૂ ઝીલૅન્ડ

(C) આઇસલૅન્ડ

(D) ફિલિપાઈન્સ

ઉત્તર : (A) યૂ.એસ.એ.


પ્રશ્ન 4. ખાલી જગ્યાઓ પૂરો.


(1) ધાતુગાળણ ઉદ્યોગમાં……………ખનીજોનો ઉપયોગ થાય છે.

ઉત્તર : ધાતુમય (ધાત્વિક)


(2) દેશમાં સૌથી વધુ સૌરઊર્જા મેળવતું રાજ્ય.............છે.

ઉત્તર : મધ્ય પ્રદેશ


(3) ગુજરાતમાં………..અને..........કુદરતી ગૅસનો ભંડાર ધરાવતાં ક્ષેત્રો ગણાય છે.

ઉત્તર : અંકલેશ્વર, ગાંધાર


(4) ગૅલ્વેનાઇઝ પતરામાં ઢોળ ચઢાવવા માટે…………ખનીજનો ઉપયોગ થાય છે.

ઉત્તર : જસત


(5) કચ્છ જિલ્લાના.............માંથી લિગ્નાઇટ કોલસો મળી આવે છે.

ઉત્તર : પાંધ્રો


પ્રશ્ન 5. સંકલ્પના સમજાવો :


(1) ખનીજ : પૃથ્વીના ખડકોમાં જૈવિક અને અજૈવિક પદાર્થો પૃથ્વીની આંતરિક ગરમી અને દબાણને લીધે પરિવર્તન પામીને ચોક્કસ રાસાયણિક બંધારણ (ગુણધર્મો) ધારણ કરે છે તેવા ઘન, પ્રવાહી અને વાયુસ્વરૂપના પદાર્થોને ખનીજ' કહે છે.


(2) ભૂતાપીય ઊર્જા : ભૂસંચલનીય પ્રક્રિયાને કારણે ભૂગર્ભમાં ઉત્પન્ન થતી વરાળ સપાટી પર આવે છે. એ વરાળને નિયંત્રણમાં લઈને મેળવવામાં આવતી ઊર્જાને ‘ભૂતાપીય ઊર્જા' કહે છે.


(3) ભરતી ઊર્જા : સમુદ્રની ભરતી દ્વારા ઉત્પન્ન થતી ઊર્જાને ‘ભરતી ઊર્જા' કહે છે. તે ઊર્જા બિનપરંપરાગત સ્રોત છે.


(4) બાયોગૅસ : ખેતરનો કચરો, નકામા કૃષિપદાર્થો, પશુઓનું છાણ, રસોઈઘરનો કચરો, માનવ મળમૂત્ર, ખાંડનાં કારખાનાંનો કચરો વગેરેને કોહડાવી તેમાંથી મેળવવામાં આવતા ગૅસને ‘બાયોગૅસ' કહે છે.


પ્રશ્ન 6. તફાવત આપો.


(1) પરંપરાગત ઊર્જાના સ્ત્રોત - બિનપરંપરાગત ઊર્જાના સ્ત્રોત

ઉત્તર : પરંપરાગત ઊર્જાના સ્ત્રોત અને બિનપરંપરાગત ઊર્જાના સ્રોત વચ્ચેના મુખ્ય તફાવત નીચે પ્રમાણે છે :

પરંપરાગત ઊર્જાના સ્ત્રોત

(1) તે લાંબા સમયથી સામાન્ય ઉપયોગમાં લેવાઈ રહ્યા છે.

(2) તેમનો જથ્થો મર્યાદિત છે.

(3) તે પુનઃ અપ્રાપ્ય છે.

(4) તે નાશવંત છે. તેનું નવીનીકરણ થઈ શકતું નથી.

(5) તેમના ઉપયોગથી પર્યાવરણીય પ્રદૂષણ ઉત્પન્ન થાય છે.

(6) તેમનો ઉપયોગ વ્યાપારી ધોરણે થાય છે.

બિનપરંપરાગત ઊર્જાના સ્ત્રોત

(1) તે પરંપરાગત ઊર્જાના સ્રોતોના વિકલ્પે ઉપયોગમાં લેવાઈ રહ્યા છે.

(2) તે અમર્યાદિત છે.

(3) તે પુનઃ પ્રાપ્ય છે.

(4) તે નાશવંત નથી. તે ખલાસ થઈ ગયા પછી નવેસરથી બનાવી શકાય છે.

(5) તેમના ઉપયોગથી પર્યાવરણીય પ્રદુષણ ઉત્પન્ન થતું નથી. તે પ્રદૂષણમુક્ત છે.

(6) તેમનો ઉપયોગ બિનવ્યાપારી ધોરણે થાય છે.


(2) બાયોગેસ – કુદરતી ગેસ

ઉત્તર : બાયોગૅસ અને કુદરતી ગૅસ વચ્ચેના મુખ્ય તફાવત નીચે પ્રમાણે છે :

બાયોગૅસ

(1) બાયોગૅસ ખેતરનો કચરો, નકામા કૃષિપદાર્થો, છાણ, રસોઈઘરનો કચરો, માનવ મળમૂત્ર, શેરડીના કૂચા વગેરે કોહવડાવીને મેળવવામાં આવે છે.

(2) તે એક બિનપરંપરાગત ઊર્જાસ્ત્રોત છે.

(3) તે ખલાસ થઈ ગયા પછી નવેસરથી બનાવી શકાય છે.

(4) તેના ઉત્પાદન એકમો નાના હોય છે અને તેમાં ખૂબ ઓછી મૂડી રોકવી પડે છે.

(5) તેઓ ઉપયોગ બિનવ્યાપારી ધોરણે થાય છે.

(6) તેનો ઉપયોગ મુખ્યત્વે રસોઈ બનાવવા અને વીજળી ઉત્પન્ન કરવા માટે થાય છે. તેનાથી મોટા પ્રમાણમાં નિંદણમુક્ત જૈવિક ખાતર પ્રાપ્ત થાય છે.

કુદરતી ગૅસ

(1) કુદરતી ગૅસ ખનીજ તેલમાંથી કુદરતી રીતે છૂટો પડેલો વાયુ છે.

(2) તે એક પરંપરાગત ઊર્જાસ્રોત છે.

(3) તે ખલાસ થઈ ગયા પછી તેનું નવીનીકરણ થઈ શકતું નથી.

(4) તેના ઉત્પાદન એકમો બહુ મોટા હોય છે અને તેમાં કરોડો રૂપિયાનું રોકાણ કરવું પડે છે.

(5) તેનો ઉપયોગ વ્યાપારી ધોરણે થાય છે.

(6) તેનો ઉપયોગ મુખ્યત્વે ઉદ્યોગોનું સંચાલન કરવા માટે અને ઘરમાં બળતણ તરીકે થાય છે.


(3) ધાત્વિક ખનીજ - અધાત્વિક ખનીજ

ઉત્તર : ધાત્વિક ખનીજ અને અધાત્વિક ખનીજ વચ્ચેના તફાવત નીચે પ્રમાણે છે :

ધાત્વિક ખનીજ

(1) ધાત્વિક ખનીજોમાં ધાતુઓ કાચા સ્વરૂપ(અયસ્ક)માં હોય છે તેમને ઓગાળવાથી ધાતુઓ પ્રાપ્ત થાય છે. દા.ત. સોનું, ચાંદી, જસત, તાંબું, બૉક્સાઇટ, લોખંડ વગેરે.

(2) ધાત્વિક ખનીજોમાંથી મળતી ધાતુઓને ટીપીને કે ઓગાળીને જુદા જુદા આકારોમાં ઢાળી શકાય છે.

(3) ધાત્વિક ખનીજોમાંથી મળતી ધાતુઓ પર પ્રહાર કરવાથી તે તૂટતી નથી.

(4) ધાતુમય ખનીજો આગ્નેય અને રૂપાંતરિત ખડક સમૂહાથી બનેલા વિશાળ સ્તરોમાંથી મળે છે.

અધાત્વિક ખનીજ

(1) અંધાત્વિક ખનીજોમાં ધાતુઓ હોતી નથી. તેમાં મુખ્યત્વે સંચાલનશક્તિ માટે ઉપયોગમાં લેવાતાં ખનીજો હોય છે. દા.ત. કોલસો અને પેટ્રોલિયમ, આ ઉપરાંત, તેમાં ચૂનાનો પથ્થર, અબરખ અને જિપ્સમ હોય છે.

(2) કેટલાંક અધાતુ મય ખનીજોને કાપીને, ઉખાડીને કે તોડીને જુદા જુદા આકારોમાં ઢાળી શકાય છે.

(3) કેટલાંક અધાતુમય ખનીજો પર પ્રહાર કરવાથી તે ટુકડાઓમાં વહેંચાઈ જાય

છે. દા.ત. ચૂનાનો પથ્થર, અબરખ, જિસમ વગેરે.

(4) અધાતુમય ખનીજો મેદાનો અને ગેડ પર્વતોના કાંપના ખડકસમૂહો (નિક્ષેપકૃત ખડકો) નાં ક્ષેત્રોમાંથી મળે છે.


પ્રશ્ન 7. ટૂંક નોંધ લખો :


(1) ખનીજસંપત્તિનું મહત્ત્વ

ઉત્તર : ખનીજો ઉદ્યોગોને કાચો માલ પૂરો પાડે છે. આજના ઔદ્યોગિક યુગમાં ટાંકણીથી માંડીને કદાવર યંત્રો અને અવકાશયાનો ખનીજોમાંથી બનાવાય છે. યંત્રો અને અવકાશયાનોના સંચાલન માટે પણ ખનીજોનો ઉપયોગ થાય છે. ઔદ્યોગિક ક્રાંતિ પછી ખનીજોનું મહત્ત્વ વધી ગયું છે. આજનાં તમામ વિકસિત રાષ્ટ્રો ખનીજોનાં વૈવિધ્ય અને તેની સમૃદ્ધિ તેમજ તેના યોગ્ય ઉપયોગને કારણે સમૃદ્ધ થયાં છે.

યંત્રો દ્વારા દેશમાં નાના-મોટા ઉદ્યોગો ધમધમે છે. વિવિધ પ્રકારની અને ખૂબ મોટી સંખ્યાના ઉદ્યોગો દ્વારા થતું ઉત્પાદન દેશની જરૂરિયાતો પૂરી પાડે છે તેમજ નિકાસો દ્વારા કિંમતી વિદેશી હૂંડિયામણ કમાઈ આપે છે. પરિણામે દેશનો ખૂબ આર્થિક વિકાસ થાય છે. ખનીજોના મહત્ત્વને કારણે આજના યુગને “ખનીજ યુગ’ પણ કહેવામાં આવે છે.

ખનીજો રાષ્ટ્રની સમૃદ્ધિમાં ખૂબ મૂલ્યવાન ફાળો આપતાં હોવાથી તે રાષ્ટ્રના અર્થતંત્રની ધોરી નસ ગણાય છે. આજના સમયમાં ખનીજોનું મહત્ત્વ ઘણું છે. તેથી તે દેશના લોકોની આર્થિક શક્તિ અને સમૃદ્ધિનો આધારસ્તંભ કહેવાય છે.


(2) ખનીજ સંરક્ષણના ઉપાયો

ઉત્તર : ખનીજ સંરક્ષણ માટેના મુખ્ય ઉપાયો નીચે પ્રમાણે છે : (1) ખનીજોનાં નિર્માણ અને તેના સંગ્રહમાં હજારો વર્ષ લાગે છે. તેથી ખનીજોનો અનુમાનિત જથ્થો નિશ્ચિત કરીને તેનો આયોજનપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. દા.ત., કોલસો અને પેટ્રોલિયમ બિનનવીનીકરણીય સંસાધનો છે. આ સંસાધનોના માનવીય વપરાશના દરની તુલનામાં નિર્માણનો દર ખૂબ જ ધીમો છે. તેથી ખનીજોના ખોદકામની પ્રક્રિયા નિયંત્રિત કરવી જરૂરી છે. (2) વપરાઈ ગયેલાં લોખંડ, તાંબુ, ઍલ્યુમિનિયમ અને કલાઈના ભંગારમાંથી નવેસરથી આ ધાતુઓ મેળવી શકાય છે. તેથી તેમને ફરીથી ઉપયોગમાં લેવી જોઈએ. આ પ્રક્રિયાને ધાતુઓનું રિસાયક્લિંગ કહેવામાં આવે છે. (3) ઓછા પ્રમાણમાં મળતાં કે ખલાસ થવાની અણી પર હોય તેવાં ખનીજોના વિકલ્પો શોધવા જોઈએ, જેથી આવાં ખનીજોને લાંબા સમય સુધી બચાવી શકાય. ઉદાહરણ તરીકે, વિદ્યુતને સ્થાને સૌર વિદ્યુતનો, તાંબાના સ્થાને ઍલ્યુમિનિયમનો, પેટ્રોલને બદલે સી.એન.જી. નો ઉપયોગ કરવો જોઈએ. (4) જળવિદ્યુત, સૌર ઊર્જા, પવન ઊર્જા, બાયોગેસ, ભરતી ઊર્જા, ભૂ-તાપીય ઊર્જા વગેરે બિનપરંપરાગત શક્તિ-સંસાધનોનો ઉપયોગ વધારવો જોઈએ. (5) પર્યાવરણની ગુણવત્તા જાળવી રાખીને ભવિષ્યની પેઢીને શુદ્ધ પર્યાવરણનો લાભ આપવો. આ માટે પ્રદૂષણમુક્ત પર્યાવરણ જાળવવા પ્રયત્નો કરવા જોઈએ. (6) ઊર્જા-સંસાધનો ખૂબ જ મૂલ્યવાન છે. ખનીજો નાશવંત છે. તેમનું નવીનીકરણ થઈ શકતું નથી. વળી, તેમનો જથ્થો મર્યાદિત છે. તેથી તેમનો બહુ વિવેકપૂર્વક અને કરકસરભર્યો ઉપયોગ કરવો જરૂરી છે. (7) ઊર્જાનો વ્યય આગામી દિવસોમાં મોટી કટોકટી નોતરે.તે પહેલાં આપણે જાગ્રત બનીને તેના સંરક્ષણ માટે કટિબદ્ધ બનવું જોઈએ. ખાસ જરૂરી અને અનિવાર્ય હોય તેવા કામો માટે જ ખનીજો વાપરવાં જોઈએ. (8) ખનીજોનું સંરક્ષણ એક પ્રકારની બચત છે એ ખ્યાલ સ્વીકારીને આપણે ખનીજ-સંસાધનોનું સંરક્ષણ કરવું જોઈએ.


(3) સૌર ઊર્જા

ઉત્તર : સૂર્ય પૃથ્વી પરની ઊર્જાનો મુખ્ય સ્રોત ગણાય છે. સૂર્યની ગરમી અને પ્રકાશ ઊર્જાનો અનુભવ આપણે મોટા ભાગના દિવસો દરમિયાન કરીએ છીએ. સૂર્યમાંથી મેળવેલી ઊર્જાનો ઉપયોગ સૌરકોષોથી વીજળી ઉત્પન્ન કરવા માટે કરી શકાય છે. વધારે ગરમી ધરાવતા ઉષ્ણકટિબંધીય દેશો માટે સૌર ઊર્જાનો ઉપયોગ કરવાની ટેકનોલૉજી ખૂબ ફાયદાકારક છે. સૌર ઊર્જાનો ઉપયોગ સોલર વૉટર હીટર (પાણી ગરમ કરવા), સોલર કૂકર (રસોઈ કરવા), સોલર ડાયર્સ (કપડાં સૂકવવા) તેમજ જાહેર સ્થળોએ રાત્રિ પ્રકાશ માટે (સોલર પેનલ) અને ટ્રાફિક સંકેતોને પ્રકાશિત કરવામાં થાય છે. સૌર ઊર્જા અખૂટ અને પ્રદૂષણહીન છે.

ભારતમાં મધ્ય પ્રદેશના રેવા(રીવા)માં ‘સૌર ઊર્જા પરિયોજના’ આવેલી છે. તેની ગણના એશિયાની મોટી સૌર ઊર્જા યોજનામાં થાય છે. ભારતમાં સૌર ઊર્જા મેળવતાં અગ્રગણ્ય રાજ્યોમાં ગુજરાતની ગણના થાય છે. ગુજરાતમાં સૌર છત અને કેનાલ આધારિત સૌર પ્રોજેક્ટસ દ્વારા સૌર ઊર્જા મેળવવામાં આવે છે. ગુજરાતમાં પાટણ જિલ્લાના ચારણકા ગામની બિનવપરાશી જમીન પર 590 મેગાવૉટની ક્ષમતાનો સોલર પાર્ક બનાવવામાં આવ્યો છે. ગુજરાત એનર્જી વિકાસ એજન્સી (GEDA) - ગેડાએ વડોદરા પાસે છાણી ખાતે 10 ટનની ક્ષમતાવાળું સૌર શીતાગાર સ્થાપ્યું છે. રાજ્યમાં વીજળી વિનાનાં ગામોમાં દીવાબત્તી (સ્ટ્રીટ લાઇટ), ખેતરોમાં સિંચાઈ અને ટીવી માટે સોલર સેલ સંચાલિત સોલર પૅનલ ગોઠવવામાં આવે છે. સોલર રૂફ ટોપ સિસ્ટમ અપનાવવા માટે ગુજરાત સરકાર સહાય આપે છે.

ગુજરાતમાં ભુજ પાસેના માંડવી નજીક મોઢવા ગામે સૌર ઊર્જા પ્લાન્ટ બનાવવાનું નક્કી થયું છે. દરિયાના ખારા પાણીને મીઠું બનાવવા (ડિસેલિનેશન કરવા) માટે સૌર ઊર્જા પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે. આજે દેશમાં સૌર ઊર્જાથી ચાલતાં વિવિધ ઉપકરણોનો વ્યાપ વધ્યો છે. સૌર ઊર્જાનો ઉપયોગ કરવાની દિશામાં પ્રયોગો કરવા દેશમાં રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાએ સંસ્થાઓ સ્થાપવામાં આવી છે.


(4) બાયોગેસ

ઉત્તર : ખેતરનો કચરો, નકામા કૃષિપદાર્થો, પશુઓનું છાણ, રસોઈઘરનો કચરો, માનવ મળમૂત્ર, ખાંડનાં કારખાનાંનો કચરો વગેરેને કોહવડાવી, તેમાંથી મેળવવામાં આવતો ગૅસ “બાયોગૅસ” કહેવાય છે. તે બૅક્ટરિયાની મદદથી રાસાયણિક પ્રક્રિયા દ્વારા બને છે. તેમાંથી મિથેન અને કાર્બન ડાયૉક્સાઇડ વાયુ છૂટા પડે છે. મિથેન દહનશીલ વાયુ છે.

બાયોગૅસ રસોઈ બનાવવા અને વીજળી ઉત્પન્ન કરવા માટેનું શ્રેષ્ઠ બળતણ (ઇંધણ) છે. બાયોગેસ મેળવી લીધા પછી વધેલા કચરાનું નિંદણમુક્ત જૈવિક ખાતર બને છે. આમ, બાયોગેસ દ્વારા ઊર્જા અને ખાતર બંને મેળવી શકાય છે. બાયોગેસ સસ્તો અને ઉપયોગમાં સરળ છે.

ફક્ત છાણમાંથી તૈયાર થતા ગેસને ‘ગોબર ગૅસ' કહે છે. બાયોગૅસ અને ખાતર બનાવવાના સાધનને “બાયોગેસ પ્લાન્ટ કહે છે.

ભારતમાં બાયોગેસના ઉત્પાદનમાં ઉત્તર પ્રદેશ પ્રથમ અને ગુજરાત બીજા સ્થાને છે. અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાના રુદાતલમાં અને બનાસકાંઠામાં દાંતીવાડા ખાતે પણ વિશાળ બાયોગૅસ પ્લાન્ટ બનાવવામાં આવ્યા છે. વ્યક્તિગત અને સામૂહિક રીતે બાયોગેસ પ્લાન્ટ સ્થાપીને તેનો ઉપયોગ વધારવામાં આવી રહ્યો છે.

ગામડાંઓમાં બળતણ માટે લાખો ટન લાકડું અને છાણ વપરાય છે. તેને બદલે બાયોગેસ વપરાય તો વૃક્ષો કપાતાં બચાવી શકાય અને ગામડાંઓની સ્વચ્છતામાં વધારો થાય તેમજ તેમની ઘરેલું ઊર્જાની અછતને ઓછી કરી શકાય.