ધોરણ : 6
વિષય : સામાજિક વિજ્ઞાન
એકમ : 2. આદિમાનવથી સ્થાયી જીવનની સફર
સ્વાધ્યાય
પ્રશ્ન 1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ઉત્તર લખો.
(1) આદિમાનવોનું જીવન કેવું હતું?
(A) ભટકતું જીવન
(B) સ્થાયી જીવન
(C) નગર વસાહતનું જીવન
(D) ગ્રામીણ વસાહતનું જીવન
ઉત્તર : (A) ભટકતું જીવન
(2) આદિમાનવો શિકાર કરવા માટે કયા સાધનનો ઉપયોગ કરતા નહોતા?
(A) બંદૂક
(B) પથ્થરનાં હથિયારો
(C) હાડકાંના હથિયારો
(D) લાકડાંનાં હથિયારો
ઉત્તર : (A) બંદૂક
(3) ભીમબેટકા કયા રાજ્યમાં આવેલું છે?
(A) મધ્યપ્રદેશ
(B) ગુજરાત
(C) બિહાર
(D) ઉત્તરપ્રદેશ
ઉત્તર : (A) મધ્યપ્રદેશ
(4) સ્થાયી જીવનથી આદિમાનવે કેવી પ્રવૃત્તિઓ શરૂ કરી નહોતી?
(A) કૃષિ
(B) પશુપાલન
(C) અનાજ-સંગ્રહ
(D) ઉદ્યોગ
ઉત્તર : (D) ઉદ્યોગ
પ્રશ્ન 2. ટૂંકમાં ઉત્તર આપો :
(1) સ્થાયી જીવન માટેની જરૂરિયાત શા માટે ઊભી થઈ?
ઉત્તર : આદિમાનવ શરૂઆતમાં ખોરાકની શોધમાં ભટકતું જીવન જીવતો હતો. લગભગ 12,000 વર્ષો પહેલાં વિશ્વભરના વાતાવરણમાં વ્યાપક પરિવર્તન આવતાં વનસ્પતિ અને ઘાસનાં ક્ષેત્રો ઊભાં થયાં. પરિણામે ધીમે ધીમે કૃષિ અને પશુપાલનની પ્રવૃત્તિઓની શરૂઆત થઈ. કૃષિ માટે સ્થળોને છોડીને જઈ શકાતું નહોતું, કારણ કે પાકને ઊગતાં થોડો સમય લાગે છે. તેને પાણીની જરૂર પડે છે. પાક તૈયાર થયા બાદ અનાજના છોડને કાપીને તેમાંથી અનાજ કાઢવું પડે છે. આ પ્રક્રિયા માટે એક સ્થળે રોકાવું પડે. ઘઉં, જવ અને બાજરી જેવાં ધાન્યો આદિમાનવનાં ખોરાક માટે ઉપયોગી બન્યાં હતાં. પશુપાલન માટે તેણે આયોજન શરૂ કર્યું હતું. આમ, ખેતી અને પશુપાલનની જરૂરિયાત ઊભી થતાં આદિમાનવના સ્થાયી જીવનની શરૂઆત થઈ હતી.
(2) અગ્નિના ઉપયોગથી આદિમાનવના જીવનમાં કેવું પરિવર્તન આવ્યું?
ઉત્તર : અગ્નિના ઉપયોગથી આદિમાનવના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું. અગ્નિની શોધ પછી આદિમાનવ નીચે દર્શાવેલી પ્રવૃત્તિઓમાં અગ્નિનો ઉપયોગ કરવા લાગ્યો : (1) શિકાર કરીને લાવેલાં પ્રાણીઓનું માંસ પકવવા માટે (2) પોતાની ગુફામાં અજવાળું કરવા માટે (3) ગુફા આગળ અગ્નિનું તાપણું કરીને જંગલી પ્રાણીઓને ભગાડવા માટે (4) ઠંડી સામે રક્ષણ મેળવવા માટે.
(3) આદિમાનવો કેવા પાકો ઉગાડતા હતા?
ઉત્તર : આદિમાનવો ઘઉં, જવ, બાજરી, ચોખા, મસૂર વગેરે પાકો ઉગાડતા હતા.
(4) આદિમાનવો કેવાં પશુઓ પાળતા હતા?
ઉત્તર : આદિમાનવો કૂતરાં, ઘેટાં-બકરાં, ગાય, ભેંસ, બળદ વગેરે પશુઓ પાળતા હતા.
પ્રશ્ન 3. નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો :
(1) સ્થાયી જીવન શરૂ થતાં આદિમાનવે હિંસક પ્રાણીઓ પાળવાનું શરૂ કર્યું.
ઉત્તર : ખોટું
(2) પાષાણ યુગમાં પથ્થરનાં હથિયારોનો ઉપયોગ થતો હતો.
ઉત્તર : ખરું
(3) ભીમબેટકામાં આદિમાનવે સિંહ અને વાઘનાં ચિત્રો દોરેલાં છે.
ઉત્તર : ખોટું
(4) ભીમબેટકાની ગુફાઓમાં પ્રાકૃતિક રંગથી ચિત્રો દોરેલાં છે.
ઉત્તર : ખરું