ધોરણ : 6
વિષય : વિજ્ઞાન
એકમ : 7. ગતિ અને અંતરનું માપન
સ્વાધ્યાય
પ્રશ્ન 1. જમીન, પાણી તથા હવા પ્રત્યેક પર ઉપયોગ કરવામાં આવતાં પરિવહનનાં સાધનોના બે બે ઉદાહરણો આપો.
ઉત્તર : (1) જમીન પર ઉપયોગ કરવામાં આવતાં પરિવહનનાં સાધનો : બસ, સ્કૂટર, ટ્રેન (2) પાણી પર ઉપયોગ કરવામાં આવતાં પરિવહનનાં સાધનો : હોડી, વહાણ, આગબોટ namaste (3) હવા પર ઉપયોગ કરવામાં આવતાં પરિવહનનાં સાધનો : વિમાન, હેલિકૉપ્ટર, અવકાશયાન.
પ્રશ્ન 2. ખાલી જગ્યા પૂરો :
(1) 1 મીટર.......................સેન્ટિમીટર હોય છે.
જવાબ : 100
(2) 5 (પાંચ) કિલોમીટર……………….મીટર હોય છે.
જવાબ : 5000
(3) હિંચકા પર કોઈ બાળકની ગતિ.................. હોય છે.
જવાબ : આવર્ત ગતિ
(૪) કોઈ સિલાઈ મશીનમાં સોયની ગતિ................... હોય છે.
જવાબ : આવર્ત ગતિ
(5) કોઈ સાઇકલનાં પૈડાંની ગતિ................... હોય છે.
જવાબ : વર્તુળાકાર ગતિ
પ્રશ્ન 3. પગ અથવા પગલાંનો ઉપયોગ લંબાઈના પ્રમાણિત એકમ સ્વરૂપે કેમ કરવામાં આવતો નથી?
ઉત્તર : દરેક માણસના પગ અથવા પગલાંનું માપ સરખું હોતું નથી.
પ્રશ્ન 4. નીચે આપેલ લંબાઈના મૂલ્યોને ચડતા ક્રમમા ગોઠવો :
1 મીટર, 1 સેન્ટિમીટર, 1 કિલોમીટર, 1 મિલીમીટર
ઉત્તર : 1 મિલીમીટર, 1 સેન્ટિમીટર, 1 મીટર, 1 કિલોમીટર
પ્રશ્ન 5. કોઈ વ્યક્તિની ઊંચાઈ 1.65 મીટર છે. તેને સેન્ટિમીટર તથા મિલીમીટરમાં દર્શાવો.
ઉત્તર : 1.65 મીટર = (1.65 x 100) સેમી = 165 સેમી
1.65 મીટર = 165 સેમી = (165 x 10) મિમી = 1650 મિમી
પ્રશ્ન 6. રાધાના ઘર તથા તેણીની શાળા વચ્ચેનું અંતર 3250 મીટર છે. આ અંતરને કિલોમીટરમાં દર્શાવો.
ઉત્તર : 1000 મીટર = 1 કિલોમીટર
3250 મીટર = 3250/1000 = 3.250 કિમી
પ્રશ્ન 7. ગૂંથણ કરવા માટેની સોયની લંબાઈ માપતા સમયે ફૂટપટ્ટી પર જો તેના એક છેડાનું વાચન 3.0 સેન્ટિમીટર છે તથા બીજા છેડાનું વાચન 33.1 સેન્ટિમીટર છે, તો તે સોયની લંબાઈ કેટલી હશે?
ઉત્તર : ગૂંથણની સોયની લંબાઈ = માપપટ્ટીનું અંતિમ વાચન – પ્રારંભિક વાચન
= 33.1 સેન્ટિમીટર – 3.0 સેન્ટિમીટર
= 30. 1 સેન્ટિમીટર
પ્રશ્ન 8. કોઈ ગતિમાન સાઇકલનાં પૈડાં તથા સિલિંગ પંખાનાં પાંખિયાંની ગતિમાં જોવા મળતી સમાનતા તથા ભિન્નતા લખો.
ઉત્તર :
સમાનતા : સાઇકલના પૈડાંની ગતિ અને સિલિંગ પંખાનાં પાંખિયાંની ગતિ બંને વર્તુળાકાર ગતિ છે અને તેઓ ધરી પર ફરે છે.
ભિન્નતા : સાઇકલનું પૈડું જમીન પર અડકેલું છે, તેથી સાઇકલનું પૈડું ફરવાથી સાઇકલ જમીન પર આગળ વધે છે; જ્યારે સિલિંગ પંખાનાં પાંખિયાં હવામાં છે. તેથી પાંખિયાં હવામાં ફરતાં રહે છે અને સાઇકલના પૈડાંની જેમ આગળ વધતાં નથી.
પ્રશ્ન 9. તમે અંતર માપવા માટે સ્થિતિસ્થાપક રબરથી બનેલી માપનપટ્ટીનો ઉપયોગ શા માટે નથી કરતાં? જો તમે કોઈ અંતરનું માપન આવી માપનપટ્ટીથી કર્યું હોય ત્યારે તમને નડેલી સમસ્યાઓમાંથી કેટલીક સમસ્યાઓ અન્યને જણાવો.
ઉત્તર : સ્થિતિસ્થાપક રબરપટ્ટી વડે કોઈ અંતરનું માપન કર્યું હોય, તો તે માપ સાચું હોતું નથી. તેને માટેનાં કારણો નીચે મુજબ છે :
(1) સ્થિતિસ્થાપક રબરપટ્ટીની લંબાઈ બદલાય છે. તમે વધુ ખેંચીને લંબાઈ માપવા જતા રબરપટ્ટીની લંબાઈ વધી જાય છે. (2) એક જ વ્યક્તિએ એક જ સ્થિતિસ્થાપક રબરપટ્ટી વાપરી અંતરનું માપન બે કે ત્રણ વાર લેતાં તે માપનમાં થોડો ફેરફાર થાય છે. (3) જુદી જુદી વ્યક્તિઓ એક જ વસ્તુનું માપન એક જ સ્થિતિસ્થાપક રબરપટ્ટી વડે કરે, તો દરેકનાં માપન જુદાં પડે છે.
પ્રશ્ન 10. આવર્ત ગતિનાં બે ઉદાહરણો આપો.
ઉત્તર : આવર્ત ગતિનાં બે ઉદાહરણો નીચે મુજબ છે :
(1) ઘડિયાળના લોલકની ગતિ
(2) હિંચકાની ગતિ
