ધોરણ : 8 સામાજિક વિજ્ઞાન એકમ : 7 સ્વાધ્યાય

GIRISH BHARADA

 

ધોરણ : 8 સામાજિક વિજ્ઞાન એકમ : 7 સ્વાધ્યાય

ધોરણ : 8

વિષય : સામાજિક વિજ્ઞાન

એકમ : 7. આધુનિક ભારતમાં કલા

સ્વાધ્યાય


પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો :


(1) વડોદરામાં ‘કલાભવન’ની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી?

ઉત્તર : વડોદરામાં ‘કલાભવન'ની સ્થાપના મહારાજા સયાજીરાવ ગાયકવાડ દ્વારા કરવામાં આવી હતી.


(2) પાલ ચિત્રશૈલીનો વિસ્તાર ક્યાં ક્યાં થયો હતો?

ઉત્તર : પાલ ચિત્રશૈલીનો વિસ્તાર બંગાળ, બિહાર, નેપાલ અને તિબેટમાં થયો હતો.


(3) ચિત્રકલાને પ્રોત્સાહન આપનાર મુઘલ રાજવીઓમાં કોનો કોનો સમાવેશ થાય છે?

ઉત્તર : ચિત્રકલાને પ્રોત્સાહન આપનાર મુઘલ રાજવીઓમાં બાબર, હુમાયુ, અકબર, જહાંગીર, શાહજહાં વગેરેનો સમાવેશ થાય છે.


(4) ચિત્રકલાનો પ્રસાર કરવા અવનીન્દ્રનાથે કઈ સંસ્થા સ્થાપી?

ઉત્તર : ચિત્રકલાનો પ્રસાર કરવા કલાકાર અવનીન્દ્રનાથે ‘બંગાળ સ્કૂલ ઑફ આર્ટ’ નામની સંસ્થા સ્થાપી.


(5) ગુજરાતમાં કઈ શૈલીનાં ચિત્રો વિશેષ મળી આવ્યાં છે?

ઉત્તર : ગુજરાતમાં જૈન ચિત્રશૈલીનાં ચિત્રો વિશેષ મળી આવ્યાં છે.


પ્રશ્ન 2. ટૂંક નોંધ લખો :


(1) રાજા રવિવર્મા

ઉત્તર : રાજા રવિવમનો જન્મ ઈ. સ. 1848માં કેરલ રાજ્યના કિલિમન્નુર ગામના રાજવી કુટુંબમાં થયો હતો. તેથી તેઓ રાજા રવિવર્મા તરીકે જાણીતા બન્યા. તેમના સમયમાં ચિત્રકલાના ક્ષેત્રે પાશ્ચાત્ય કલાની વિશેષ અસર જોવા મળતી હતી. રાજા રવિવર્માએ શ્રી રામાસ્વામી નાયડુ, થિયોડોર જેન્સન અને રાજવી કુટુંબમાંથી આવતા યુરોપિયન મહેમાન ચિત્રકારો પાસેથી ચિત્રકલાનું શિક્ષણ અને માર્ગદર્શન પ્રાપ્ત કરી તેમણે પોતાની આગવી ચિત્રશૈલી વિકસાવી હતી. તેમનાં ચિત્રો વાસ્તવદર્શી છે. વ્યક્તિચિત્રો બનાવવામાં તેઓ પાવરધા હતા. તેમનાં ચિત્રોમાં ભાવને બદલે ટેકનિકનું સ્થાન ખૂબ જ વધારે હતું. પૌરાણિક ધર્મગ્રંથો અને સંસ્કૃત સાહિત્યમાં આલેખિત પ્રસંગો અને પાત્રોને કેન્દ્રમાં રાખીને રાજા રવિવર્માએ તૈયાર કરેલ તૈલચિત્રો ખૂબ પ્રશંસા પામ્યાં છે. તેમનાં ચિત્રોમાં વિરાટનો દરબાર, ગંગા અવતરણ, ઉર્વશી, શકુંતલા, પોટ્રેટ ઑફ લેડી વગેરે મુખ્ય છે.

રાજા રવિવર્માએ ઈ. સ. 1894માં મુંબઈના ઘાટકોપરમાં લિયોગ્રાફી પ્રિન્ટિંગ પ્રેસ શરૂ કર્યું હતું. અહીં છપાતાં હિંદુ દેવી-દેવતાઓનાં ચિત્રોની કિંમત ઓછી હોવાથી સામાન્ય લોકો પણ એ ચિત્રો ખરીદી શકતા હતા. વડોદરાના સર મહારાજા સયાજીરાવ ગાયકવાડ અને ભાવનગર રાજાએ રાજા રવિવર્માને આમંત્રણ આપીને તેમની પાસે રાજકુટુંબનાં અને કેટલાંક પૌરાણિક ચિત્રો તૈયાર કરાવ્યાં હતાં. તેમનાં ચિત્રો ત્રિવેન્દ્રમના સંગ્રહાલયમાં, વડોદરાની ફતેહસિંહરાવ આર્ટ ગૅલરીમાં અને ભાવનગરના દરબાર ગૃહમાં સચવાયેલાં છે. બ્રિટિશ સરકારે રાજા રવિવર્માને ‘કૈસરે હિંદ’ નો ખિતાબ આપીને તેમનું બહુમાન કર્યું હતું. રાજા રવિવર્મા કલાક્ષેત્રેના ખરેખર રાજા હતા અને દેશની અમૂલ્ય સંપત્તિરૂપ કલાકાર હતા. રાજા રવિવર્મા ઈ. સ. 1906માં અવસાન પામ્યા હતા.


(2) રાજપૂત શૈલી

ઉત્તર : રાજસ્થાન અને મધ્ય પ્રદેશના રાજપૂત રાજાઓના આશ્રયે વિકસેલી ચિત્રશૈલી રાજપૂત શૈલીના નામે ઓળખાય છે. તે ઈસુની 10મીથી 16મી સદી દરમિયાન પ્રચલિત થઈ હતી. રાજપૂત શૈલીમાં મુખ્યત્વે લઘુચિત્રો અને ભતચિત્રોનો સમાવેશ થાય છે. આ સમયના રાજાઓ પરંપરાગત ચિત્રકારોને રાજ્યાશ્રય આપતા હતા. તેથી એ ચિત્રકારોનાં ચિત્રોમાં રાજપૂત રાજાઓનું જીવન, તેમના રીતરિવાજો, પહેરવેશ, ઉત્સવો વગેરે વિષયો કેન્દ્રસ્થાને રહ્યા છે.

રાજસ્થાનના બુંદી, કિશનગઢ, બિકાનેર, જોધપુર વગેરે વિસ્તારોમાં રાજપૂત શૈલી વિકસી હોવાથી તે રાજસ્થાની શૈલી તરીકે પણ પ્રચલિત છે.


(૩) કાંગડા શૈલી

ઉત્તર : કાંગડા શેલી ભારતીય ચિત્રશૈલીઓમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે. રાજસ્થાન અને મુઘલ ચિત્રકારોએ હિમાલયના પહાડી પ્રદેશોમાં આ શૈલી વિકસાવી હતી. કાંગડા, કુલ, ગઢવાલ, ચંબા અને મંડી તેનાં મુખ્ય કેન્દ્રો હતાં. મોલારામ કાંગડા ચિત્રશૈલીનો મહાન ચિત્રકાર હતો. ભગવાન શ્રીકૃષ્ણ, કૃષ્ણભક્તિ અને હિમાલયનું સૌંદર્ય એ કાંગડા ચિત્રશૈલીના મુખ્ય વિષયો છે.


પ્રશ્ન 3. નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી ઉત્તર લખો :


(1) જલ્પ તેના તમિલનાડુના પ્રવાસ દરમિયાન નીચેનામાંથી કઈ ગુફાઓની મુલાકાતે જશે?

(A) સિત્તાનાવસલની ગુફાઓની

(B) બાદામીની ગુફાઓની

(C) અજંતાની ગુફાઓની

(D) ભીમબેટકાની ગુફાઓની

ઉત્તર : (A) સિત્તાનાવસલની ગુફાઓની


(2) જૈન શૈલીનાં ચિત્રો જોવા માટે તમે નીચેનામાંથી કયો ગ્રંથ ઉપયોગમાં લેશો?

(A) અભિધમ્મ પિટ્ટક

(B) સુત્તપિટ્ટક

(C) અંગુત્તરનિકાય

(D) કથાસરિતસાગર

ઉત્તર : (D) કથાસરિતસાગર


(3) ચિત્ર-પ્રદર્શન દરમિયાન ગુજરાતના ચિત્રકારનું ચિત્ર જોઈ હેતાંશે તે ખરીદી લીધું. તેણે ક્યા ચિત્રકારનું ચિત્ર ખરીધ્યુ હશે?

(A) અવનીન્દ્રનાથ ટાગોરનું

(B) પીરાજી સાગરા

(C) જૈમિની રાય

(D) અંજલી મેનન

ઉત્તર : (B) પીરાજી સાગરા


(4) એક ચિત્ર જોઈને તમે મૂંઝવણમાં મુકાઈ જાવ છો. તે ચિત્ર જોઈ નક્કી નથી કરી શકતા કે તે રાજપૂત શૈલીનું છે કે કાંગડા શેલીનું. તો ચિત્રનો વિષય કયો હશે?

(A) રાજસ્થાની લોકનૃત્ય

(B) હિમાલયનું કુદરતી સૌંદર્ય

(C) કૃષ્ણભક્તિ

(D) યુદ્ધનાં દશ્યો

ઉત્તર : (B) હિમાલયનું કુદરતી સૌંદર્ય


પ્રશ્ન 4. જોડકાં જોડો :


વિભાગ : અ

(1) જહાંગીર

(2) પાલ શૈલી

(3) મુઘલ શૈલી

(4) દેવીપ્રસાદ રૉય ચૌધરી

(5) રવીન્દ્રનાથ ટાગોર


વિભાગ : બ

(A) બુંદી, કિશનગઢ, બિકાનેરમાં શૈલીનો વિકાસ

(B) મદ્રાસ સ્કૂલ ઑફ આર્ટની સ્થાપના

(C) ચિત્રકલાના ભીષ્મપિતામહ

(D) જાતક કથાઓ અને બોધિસત્ત્વનાં ચિત્રો

(E) પશુ-પંખીઓ અને પ્રાણીઓની સાઠમારીનાં ચિત્રો

(F) ચિત્રશાળાની સ્થાપના


ઉત્તર :

(1) જહાંગીર - (F) ચિત્રશાળાની સ્થાપના

(2) પાલ શૈલી - (D) જાતક કથાઓ અને બોધિસત્ત્વનાં ચિત્રો

(3) મુઘલ શૈલી - (E) પશુ-પંખીઓ અને પ્રાણીઓની સાઠમારીનાં ચિત્રો

(4) દેવીપ્રસાદ રૉય ચૌધરી - (B) મદ્રાસ સ્કૂલ ઑફ આર્ટની સ્થાપના

(5) રવીન્દ્રનાથ ટાગોર - (C) ચિત્રકલાના ભીષ્મપિતામહ