ધોરણ : 8 સામાજિક વિજ્ઞાન એકમ : 19 સ્વાધ્યાય

GIRISH BHARADA

 
ધોરણ : 8 સામાજિક વિજ્ઞાન એકમ : 19 સ્વાધ્યાય

ધોરણ : 8

વિષય : સામાજિક વિજ્ઞાન

એકમ : 19. સામાજિક-આર્થિક ક્ષેત્રે સરકારની ભૂમિકા

સ્વાધ્યાય


પ્રશ્ન 1. ટૂંકમાં ઉત્તર આપો :


(1) કેવા સંજોગોમાં રાજકીય સ્વતંત્રતાનો કોઈ અર્થ રહેતો નથી?

ઉત્તર : આઝાદી પહેલાં ખૂબ લાંબા સમય સુધી ભારતીય પ્રજા રાજકીય રીતે પરાધીન રહી હતી. અંગ્રેજો અને તે અગાઉના શાસકોએ ભારતીય સમાજને માનસિક રીતે સંકુચિત રાખવાના પ્રયત્નો કર્યા. તેના પરિણામ સ્વરૂપે આઝાદી પછી ભારતીય સમાજ અનેક પ્રકારના કુરિવાજોથી ઘેરાયેલો હતો. દેશમાં શિક્ષણનું પ્રમાણ નહિવત્ હતું. સમાજનો મોટો સમુદાય પછાત સ્થિતિમાં જીવતો હતો. સમગ્ર દેશ આર્થિક અને સામાજિક રીતે અત્યંત વિષમ પરિસ્થિતિમાં જીવતો હતો. આ પ્રકારના સંજોગોમાં સમાજનો આર્થિક અને સામાજિક વિકાસ સાધવો એ દેશની સરકારની પ્રાથમિકતા હતી, કારણ કે સમાજનો આર્થિક અને સામાજિક વિકાસ સાધ્યા વિના રાજકીય સ્વતંત્રતાનો કોઈ અર્થ રહેતો નથી.


(2) માનવની મૂળભૂત જરૂરિયાતો કઈ કઈ છે?

ઉત્તર : પોષક આહાર, વસ્ત્રો, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય, શુદ્ધ પાણી, શુદ્ધ હવા, આનંદ-પ્રમોદનાં સાધનો વગેરે ક્ષેત્રો માનવની મૂળભૂત જરૂરિયાતો છે.


(3) દેશમાં શ્વેત ક્રાંતિથી કયો લાભ થયો છે?

ઉત્તર : દેશમાં શ્વેત ક્રાંતિથી દૂધ ઉત્પાદન ક્ષેત્રે કામ કરતા અને દુધાળા પશુઓનું પાલન કરતા ખેડૂતોને સૌથી મોટો લાભ થયો છે. શ્વેત ક્રાંતિથી પશુપાલન કરતા ખેડૂતો સ્વાવલંબી, આત્મનિર્ભર બન્યા છે. તેમની આર્થિક સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થયો છે. આ ઉપરાંત, ગામડાંમાં સહકારી મંડળીઓ દૂધ એકઠું કરીને જિલ્લાની મોટી સહકારી ડેરીને પહોંચાડે છે. એ ડેરીઓ શહેરોને દૂધ મોકલે છે. જેથી શહેરીજનોની દુધની જરૂરિયાત સંતોષાય છે. દા.ત. અમૂલ, દૂધસાગર વગેરે.


(4) સરકારની આવકના સ્રોત કયા છે? કોઈ બે સ્ત્રોત અંગે લખો.

ઉત્તર : જી.એસ.ટી. (Goods and Service Tax), આવકવેરો (Income Tax), નિકાસવેરો (Export Tax), આયાતી ચીજવસ્તુઓ પર લેવાતો વેરો, આબકારી જકાત (Excise - Government tax on certain goods made and marketed in the country), વેટ- VAT – Value Added Tax વગેરે સરકારની આવકના મુખ્ય સ્રોતો છે.

(1) આવકવેરો (Income Tax): પગારદાર વ્યક્તિઓની આવક પર સરકાર કર ઉઘરાવે છે. આ ઉપરાંત, વેપારી પેઢીઓ અને કંપનીઓના નફા પર તથા તેમના હિસ્સેદારોની આવક પર સરકાર કર ઉઘરાવે છે. શેરોના વેચાણથી થતા નફા પર પણ સરકાર કર લે છે.

(2) જી.એસ.ટી. (Goods and service Tax): દેશના વેપાર-ધંધાઓમાં વેપારીઓ દ્વારા માલ-સામાનની ખરીદી અને તેના વેચાણની સેવાઓ પર સરકાર વેપારીઓ પાસેથી કરરૂપે જી.એસ.ટી. ઉઘરાવે છે, જે સરકારની આવકનો એક મોટો સ્રોત છે.


(5) માર્ગ સલામતી સપ્તાહ ક્યાં માસમાં ઉજવવામાં આવે છે?

ઉત્તર : માર્ગ સલામતી સપ્તાહ જાન્યુઆરી માસમાં ઉજવવામાં આવે છે.


(6) ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટે કઈ પ્રક્રિયામાંથી પસાર થવું પડે?

ઉત્તર : ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા તાલીમ અને પરિક્ષણોમાંથી પસાર થવું પડે છે.


પ્રશ્ન 2. ટૂંક નોંધ લખો :


(1) શિક્ષણ અને આરોગ્યના ક્ષેત્રે સરકારની ભૂમિકા

ઉત્તર : ઈ. સ. 2009માં કેન્દ્ર સરકારે બંધારણમાં દર્શાવ્યા મુજબ 6થી 14 વર્ષની વયજૂથનાં તમામ બાળકો માટે પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજિયાત બનાવવામાં આવ્યું છે. આ કાયદો મુજબ આજે દરેક ગામમાં પ્રાથમિક શાળા સ્થાપવામાં આવી છે. સરકારે દરેક પ્રાથમિક શાળામાં વર્ગખંડો, પ્રયોગશાળા, પીવાનું ચોખ્ખું પાણી, વીજળી, શૌચાલય, મધ્યાહ્ન ભોજનની વ્યવસ્થા, શિક્ષકોની લાયકાત અને નિમણૂકનાં ધોરણો, શાળાને આર્થિક સહાયરૂપે અનુદાન વગેરે જોગવાઈઓ કરી છે. સરકાર કેટલીક માધ્યમિક શાળાઓ અને મહાશાળાઓનું સંચાલન કરે છે. સરકાર કેટલીક ટેક્નિકલ કૉલેજોનું પણ સંચાલન કરે છે. આમ, શિક્ષણ ક્ષેત્રે સરકાર મહત્ત્વની ભૂમિકા અદા કરે છે.

ભારતમાં આરોગ્ય ક્ષેત્રે સારી પ્રગતિ થઈ છે. સરકારે બાળકોના આરોગ્યની ખાસ તકેદારી રૂપે બાળ રસીકરણ કાર્યક્રમ શરૂ કર્યો છે. એ કાર્યક્રમ અનુસાર ઓ.પી.વી. (પોલિયો માટે), બી.સી.જી. (ક્ષય માટે), હીપેટાઇટિસ-બી (ઝેરી કમળા માટે), ડી.પી.ટી (ડિપ્લેરિયા - મોટી ઉધરસ – ધનુર માટે) ઓરી, ટાઇફૉઈડ વિરોધી રસી વગેરે રસીઓ આપીને બાળકોના આરોગ્યમાં સુધારો લાવી શકાયો છે. સરકારના પ્રયત્નોથી ઘણા રોગો પર નિયંત્રણ સાધી શકાયું છે. ગુજરાત સરકારે મહિલાઓના આરોગ્ય માટે ઇ-મમતા કાર્યક્રમમાં સગભાં માતાની નોંધણી કરીને તેને મમતા કાર્ડ આપવામાં આવે છે. સગર્ભા મહિલાના આરોગ્યની નિયમિત તપાસ કરીને સારવાર અને બાળકના જન્મ પછી રસીકરણ કાર્યક્રમ દ્વારા માતા અને બાળકની તંદુરસ્તીની કાળજી લેવામાં આવે છે. રાજ્યના મોટાં ગામોમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, તાલુકા અને જિલ્લા મથકે તથા શહેરોમાં સરકાર હૉસ્પિટલો ચલાવે છે. આમ આરોગ્ય ક્ષેત્રે સરકાર પ્રશંસનીય ભૂમિકા ભજવે છે.


(2) કૃષિના ક્ષેત્રે આવેલ પરિવર્તન

ઉત્તર : ભારત કૃષિપ્રધાન દેશ છે. કૃષિ ભારતનો મુખ્ય વ્યવસાય ભારતમાં કૃષિ માટે પૂરતી જમીન છે. પરંતુ પરંપરાગત સાધનોથી ખેતી થતી હોવાથી ઉત્પાદન ઘણું ઓછું થાય છે. આઝાદી પછી પંચવર્ષીય યોજનાઓમાં કૃષિક્ષેત્રનો વિકાસ કરવા પગલાં ભરવામાં આવ્યાં.

સુધારેલાં બિયારણો, રાસાયણિક ખાતરોનો વધેલો ઉપયોગ, ખેડૂતોનો પુરુષાર્થ, વીજવિતરણની વ્યવસ્થા, સિંચાઈની વધેલી સવલતો વગેરે પરિબળોથી ખેતીનાં ઉત્પાદનોમાં અસાધારણ વધારો થયો. ભારત અન્નના ઉત્પાદન ક્ષેત્રે સ્વાવલંબી બન્યું. દેશમાં હરિયાળી ક્રાંતિ થઈ. ખેતીના સ્તરને સુધારવા માટે અને ખેડૂતોને કૃષિલક્ષી માર્ગદર્શન આપવામાં સહકારી પ્રવૃત્તિનો નોંધપાત્ર ફાળો રહ્યો છે.

હરિયાળી ક્રાંતિથી ઘઉં અને ડાંગરના પાકના ઉત્પાદનમાં વિક્રમજનક ઉત્પાદન થયું છે. દેશમાં પહેલાં જ્યાં ખાદ્ય અનાજની અછત હતી ત્યાં આજે અનાજના પર્યાપ્ત ભંડારો છે. અનાજના બફર સ્ટૉકને કારણે દુકાળ કે અછતની પરિસ્થિતિનો સરળતાથી સામનો કરી શકાય છે.


(3) માર્ગ અકસ્માત માટે મુખ્ય કારણો.

ઉત્તર : માર્ગ અકસ્માત માટેના મુખ્ય કારણો નીચે મુજબ છે.

(1) મોટાભાગના જીવલેણ અકસ્માતો વધુ ઝડપને કારણે થાય છે. ઝડપમાં વધારો અકસ્માતનું જોખમ અને અકસ્માત દરમિયાન ઈજાની તીવ્રતાને વધારે છે. (2) વાહન ચલાવતી વખતે વધુ ઝડપે બેફામ ડ્રાઈવિંગ, ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન, સંકેતોને સમજવામાં નિષ્ફળતા, થાક અને દારૂનો વપરાશ અકસ્માત નોતરે છે. (3) પદયાત્રીઓની બેદરકારી, નિરક્ષરતા અને ખોટી જગ્યાએ રસ્તો ઓળંગવાથી અકસ્માતની સંભાવનાઓ વધી જાય છે. મુસાફરો દ્વારા હાથ કે મોં વાહનની બારી બહાર કાઢવા, ડ્રાઈવરો સાથે વાત કરવી, ચાલતી બસ પકડવી વગેરે પણ અકસ્માતનું કારણ બને છે. (4) વાહનોની બ્રેક અથવા સ્ટિયરીંગની નિષ્ફળતા, ટાયર ફાટવું, અપૂરતી હેડલાઈટ, વધારે વજન ભરવું એ પણ અકસ્માતના કારણો છે. (5) ક્ષતિગ્રસ્ત માર્ગ, ખાડાઓ, ધોવાઈ ગયેલા રસ્તા, ગ્રામીણ માર્ગનો હાઈવે, ડાયવર્ઝન પણ અકસ્માત સર્જી શકે છે. (6) ધુમ્મસ, બરફ, ભારે વરસાદ, પવન, તોફાન અને કરા-વરસાદ જેવું વાતાવરણ પણ અકસ્માતનું કારણ બની શકે છે. (7) લાલ લાઈટ ચાલુ હોવા છતાં રસ્તો ઓળંગવો એ અકસ્માતને નિમંત્રણ આપે છે.


પ્રશ્ન 3. સમજાવો :


(1) ખેતી અને પશુપાલનના ક્ષેત્રે થયેલ વિકાસ અને તેની ખેડૂતોના જીવનધોરણ ઉપર થયેલી અસર

ઉત્તર : ખેતીક્ષેત્રે થયેલ ‘હરિયાળી ક્રાંતિ અને પશુપાલન ક્ષેત્રના દૂધ ઉત્પાદનમાં થયેલ ‘શ્વેત ક્રાંતિ'ને લીધે ખેતી અને પશુપાલન કરતા ખેડૂતોની આર્થિક અને સામાજિક સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થયો છે. તે ખેડૂતોનાં બાળકોને સારું શિક્ષણ મળવા લાગ્યું છે. તેમના ખોરાક, પોશાક, રહેણીકરણી, રહેઠાણ વગેરેમાં ઘણા સુધારા થયા છે. તેમનાં ઘરોમાં આધુનિક્તાનાં સાધનો વસાવા લાગ્યાં છે. તેમની માનસિકતામાં ખૂબ પ્રગતિ થઈ છે. તેઓ સામાજિક કુરિવાજોથી મુક્ત થયા છે.


(2) કેટલીક વસ્તુઓ ઉપર વધારાનો ટેક્સ નાખવાની જરૂરિયાત

ઉત્તર : સમગ્ર રાજ્યને સાંકળતી એવી રોડપરિવહન ખર્ચાળ હોવા છતાં સરકાર લોકોને સુવિધા આપવા માટે ખર્ચ કરે છે. સરકાર ઓછી આવક ધરાવતાં કુટુંબોને અનાજ, તેલ, ખાંડ જેવી વપરાશી જીવનજરૂરિયાતો જાહેર વિતરણ પ્રણાલી હેઠળ ‘વાજબી ભાવની દુકાનો' દ્વારા ઉત્પાદન-ખર્ચ કરતાંય ઓછા ભાવે પૂરી પાડે છે. આ પ્રકારનાં બધાં કાર્યો સરકાર નાગરિકોને પાયાની સુવિધાઓ આપવાના હેતુથી જ કરે છે. આ સુવિધાઓ આપવા માટે કેટલીક વસ્તુઓ પર વધારાનો ટેક્સ (કર) નાખવાની જરૂર પડે છે.


(3) સ્પેશિયલ ઇન્ડસ્ટ્રિયલ ઝોનમાં ઉદ્યોગ શરૂ કરવાથી મળતા લાભો.

ઉત્તર : સ્પેશિયલ ઇન્ડસ્ટ્રિયલ ઝોનમાં ઉદ્યોગ શરૂ કરવાથી ઉદ્યોગ શરૂ કરનારને નીચેના લાભો મળે છે : (1) ઉદ્યોગ માટે જમીન (પ્લૉટ) બજારભાવ કરતાં ઓછી કિંમતે આપવામાં આવે છે. (2) ઉદ્યોગના પ્રકાર મુજબ સબસિડી આપવામાં આવે છે. (3) ઉદ્યોગ માટે જરૂરી પાણી અને વીજળી જેવી સુવિધાઓ વાજબી કિંમતે આપવામાં આવે છે. (4) ઝોનમાં રોડ, ગટર જેવી વ્યવસ્થા પૂરી પાડવામાં આવે છે. (5) બૅન્કમાંથી ઓછા વ્યાજની લોન આપવામાં આવે છે. (6) કેટલાક સમય સુધી જુદા જુદા કરવેરામાંથી પણ મુક્તિ આપવામાં આવે છે.


(4) અકસ્માત નિવારવા માટે ધ્યાનમાં રાખવાની બાબતો.

ઉત્તર : અકસ્માત નિવારવા માટે નીચેની બાબતો ધ્યાનમાં રાખવી.

(1) પ્રથમ રાહદારીઓને ઝીબ્રા ક્રોસિંગ પહેલા પસાર કરવા દેવું. (2) ડ્રાઈવિંગ કરતી વખતે મોબાઈલનો ક્યારેય ઉપયોગ કરશો નહીં. (3) સીટબેલ્ટ અકસ્માતમાં કારમાં બેઠેલા વ્યક્તિના મૃત્યુની સંભાવના 60% થી વધુ ઘટાડે છે. આથી સીટબેલ્ટ અવશ્ય પહેરો. (4) સારી ગુણવત્તાવાળું હેલ્મેટ માથામાં ગંભીર ઈજા થવાની શક્યતા 70% થી વધુ ઘટાડે છે. આથી ટુ વ્હીલર ચલાવતી વખતે તમારા માથાનું રક્ષણ કરવા માટે હેલ્મેટ પહેરો. (5) ક્યારેય પણ જોખમી રીતે વધુ ઝડપે વાહન ના હંકારો. (6) ટ્રાફિકના નિયમો અને સંકેતોનું પાલન કરો. (7) નશાની હાલતમાં વાહન ચલાવવું નહિ. (8) બ્રેક ન લાગે તો ગંભીર અકસ્માતમાં પરિણમી શકે છે. તેથી વાહન સારી સ્થિતિમાં હોવું જોઈએ અને નિયમિત સમયે મરામત/જાળવણી કરવી. (9) રસ્તો બધા વાપરી શકે તે રીતે ઉપયોગ કરો. (10) ગતિ મર્યાદાઓનું પાલન કરો.